મૈં પલ દો પલ કા શાયર હૂં, પલ દો પલ મેરી કહાની હૈ.
વીકએન્ડ અમે એક હિન્દી નાટક જોઈ નાખ્યુ, નાટકનું નામ હતું, 'એક મુલાકાત' દિપ્તી નવલ અને શેખર સુમન અભિનીત અને સૈફ હૈદર હસન દ્વારા લિખિત નાટક બે એવી હસ્તીઓના કેટલાંક અંગત જીવનના પાસાઓ પર આધારિત છે કે જેમનું આપણા સાહિત્ય ક્ષેત્રે, ફિલ્મ જગત ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે. અને તે બે હસ્તી એટલે અમૃતા પ્રિતમ અને સાહિર લુધયાનવી. નાટક જોઈ સાહિર સાહેબના જીવનની કેટલીક ગમતિલી, વાગોળવા લાયક યાદોએ અમારા દિમાગનો કબ્જો લઈ લીધો હતો. આજે કલમની થોડી શ્યાહી સાહિર સાહેબની યાદમાં ખર્ચી નાખવી છે. 
વતનનું નામ જેમના નામ અને ઓળખ બંને સાથે જોડાયેલું હતું તે વ્યક્તિ એટલે ૮મી માર્ચ ૧૯૨૧ના દિવસે સરદાર બેગમની કોખે જન્મેલા 'અબ્દુલ હયી' એટલે કે સાહિર લુધયાનવી. પંજાબના લુધિયાના શહેરમાં તેમનો જન્મ. લુધિયાનાના કરીમપુરામાં જન્મેલા સાહિર નાનપણથી તકલીફો વેઠવાનું નસીબમાં લખાવીને લાવ્યા હતા. સાહિર જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમની માતાને અવગણીને બીજા લગ્ન કરી લીધા, સાહિરની મા સરદાર બેગમને લગ્ન મંજૂર નહોતા અને તે જમાનામાં તેમણે એટલી હિંમત બતાવી કે સાહિરને સાથે લઈ તેમણે પતિનું ઘર છોડી દીધું. સાહિરના પિતાએ ત્યારબાદ સાહિરની કસ્ટડી લેવા માટે તેમના પર કેસ કર્યો, પણ હારી ગયા. ત્યારબાદ પણ તેમના પિતા હંમેશા કોશિશ કરતા રહ્યા કે સાહિર અને સરદાર બેગમ શાંતિથી જીવી નહીં શકે. તેમણે ત્યાં સુધીની કોશિશ કરી હતી સાહિર નામનો આ છોકરો જીવતો જ નહીં રહે. સાહિરની મા તેમના પિતાથી અલગ થઈ લુધિયાના સ્ટેશન પાસે એક નાનુ આમથું ઘર લઈ રહેવા આવી ગયા અને ત્યાં કોલસા વણતા ગરીબ લોકોના ઝૂંપડાઓ વચ્ચે સાહિરનું બાળપણ અને કિશોરાવસ્થા વિત્યા. ડર, તકલીફ, અને બાળ સહજ થતી તમામ ઈચ્છાઓને મારી મોટા થયેલા સાહિર સાહેબે ક્યારેક કહ્યું હતું કે ડરે માત્ર તેમના બાળપણમાં નહીં પણ ત્યાર પછીના પણ કેટલાંય લાંબા સમય સુધી પીછો નહોતો છોડ્યો. પણ સરદાર બેગમ ખરેખર બાહોશ બાઈ હતી. તેણે સાહિરને આ બધા જ સંજોગો અને તકલીફ વચ્ચે પણ મોટા કર્યા અને ભણાવ્યા પણ, સાહિરે અનેક સામાજીક અને આર્થિક તકલીફો તેમના બાળપણમાં વેઠી હતી. પણ સાહિર એમ કઈ સામાન્ય છોકરો નહોતો. એ તો કંઈક નવું જ કરવા સર્જાયેલો હતો. અને તેની પહેચાન તેમણે કોલેજ સમયથી આપવા માંડેલી. બોય્ઝ કોલેજમાં અભ્યાસ કરતા સાહિરને પહેલાં વર્ષમાં કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. કારણ ? પ્રિન્સીપાલ ઓફિસની પાસે સાહિર એક છોકરી સાથે બેસી પ્રેમની વાતો કરતા પકડાઈ ગયા. જો કે ત્યાર પછી તેમણે તેમનું ગ્રેજ્યુએશન પુરૂં કર્યું હતું પણ સાહિરને પહેલેથી ભણવા કરતા શેર-શાયરી અને ગઝલોમાં વધારે રસ હતો. કોલેજમાં પણ તે પોતાને એક શાયર તરીકે  ઓળખાવતા.
સાહિર કિશોરાવસ્થાથી જ તેમની ગઝલ અને નઝ્મથી ફેમસ થઈ રહ્યા હતા. તેઓ જૂદા જૂદા મુશાયરા અને કવિ સમ્મેલનમાં હાજરી આપવા જતા અને પોતાની નઝ્મ સંભળાવતા. આવા એક મુશાયરામાં હાજરી આપવા ગયેલા અબ્દુલને લાહોરમાં એક સુંદર યુવતી સાથે મુલાકાત થઈ હતી. જેની વાત આપણે આગળ કરવાના છીએ. પણ આ બધા વચ્ચે 'અબ્દુલ હયી'નું નામ સાહિર કઈ રીતે પડ્યું ?
કહાની કંઈક એવી છે કે, એક રેડિયો પ્રોગ્રામમાં અબ્દુલ જાણીતા કવિ અલ્મા ઈક્બાલની એક કવિતા વાંચી રહ્યા હતા. 'ઈસ ચમન મેં હોંગે પૈદા બુલબુલ શિરાઝ ભી, સેંકડો સાહિર ભી હોંગે સાહિબે ઈજાઝ ભી.' અને શેર વાંચતાની સાથે તેમણે પોતાનું તખ્ખલુસ સાહિર રાખી લેવા વિચાર્યુ. કારણ કે, ઉર્દૂ શબ્દ સાહિરનો અર્થ થાય છે જાદૂગર. સાહિર કહેતા કે, 'હું મારી કલમના પ્રવાહથી દુનિયા પર જાદૂ પાથરવા માંગૂ છું આથી હું સાહિર છું.' અને ખરેખર જ સાહિરના શબ્દોનો જાદૂ, તેમના લખેલા કેટલાંય ગીત અને ગઝલ આજે પણ આપણી સ્મૃતિઓમાં કાયમ છે.
અબ્દુલ હયી નામના બાળકે બાળપણથી જે તકલીફો વેઠી હતી તે  દર્દ તેમની અનેક રચનાઓમાં પણ એક યા બીજી રીતે ઝલકતો હતો. સાહિરનું પહેલું પુસ્તક 'તલ્ખીયાં'ની અનેક નઝ્મમાં તેમણે દર્દને બખુબી શબ્દો આપ્યા છે. યુવાન સાહિર ફિલ્મોમાં ગીતો લખતાં થયા તે પહેલાનો સમય બીજૂં વિશ્વ યુધ્ધ અને અંગ્રેજો વિરૂધ્ધની લડાઈનો લડાઈનો સમય હતો. વાતાવરણની અસર તેમની શાયરીમાં પણ દેખાતી હતી. સાહિર તે સમયે લખે છે 'આજ સે મૈં અપને ગીતો મેં આતિશ તારે ભર દૂંગા.' સાહિર સાહેબે ૧૯૪૯માં આવેલી ફિલ્મ 'આઝાદી કી રાહ પર' માટે પહેલીવાર ગીતો લખ્યા અને ત્યાંથી શરૂઆત થઈ તેમના ફિલ્મી કરિઅરની. ગીતો જો કે ખાસ કંઈ ચાલ્યા નહીં પણ ત્યારબાદ ૧૯૫૧માં આવી નૌજવાન અને ફિલ્મથી સાહિરને એક ગીતકાર તરીકેની ઓળખ મળવી શરૂ થઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાહિર સાહેબનો સૌથી ખાસ મિત્ર એટલે ગુરૂદત્ત સાહેબ. બાઝીથી લઈને પ્યાસા જેવી ગુરૂદત્તની અનેક ફિલ્મો માટે સાહિરે ગીતો લખ્યા હતા. કહે છે કે દત્ત સાહેબની ફિલ્મ પ્યાસાની કહાની પણ સાહિર સાહેબની રિયલ લાઈફથી ઈન્સ્પાયર્ડ હતી. એટલું નહીં પ્રેમમાં નિષ્ફળ એવા યુવાન કવિની કહાની પર બનેલી બીજી એક ફિલ્મ કભી કભીમાં પણ ક્યાંક સાહિર સાહેબનું જીવન ડોકાઈ છે. કભી કભી જ્યારે બની ત્યારે તેના મ્યુઝિક ડાયરેક્ટર ખયામ સાહેબને સાહિર લુધિયાનવીએ કહ્યું હતું. 'ખયામ સાહબ માન લિજીયે યે આપકે દોસ્ત સાહિર કી હી કહાની હૈ.' સાહિર ગીતકાર તરીકે તો પ્રખ્યાત થયા પણ તેઓ એટલાં સફળ શાયર પણ હતા. અને એક શાયર કે ગીતકાર એક અદના પ્રેમી હોય તેવું કઈ રીતે બની શકે ?
લાહોરનો એ મુશાયરો જ્યારે યુવાન સાહિર પોતાની નઝ્મ કહેવા માટે ઊભા થયા અને એ મુશાયરાના અંત સુધીમાં તો યુવાન શાયરોને અનેક છોકરીઓ ઘેરી વડી. પણ બધામાં એક રૂપ એવું હતું જે સાહિરની નજરોમાં વસી ગયું અમૃતા પ્રીતમ. સાહિર અને અમૃતાના સંબંધ પર કેટલુંય સાહિત્ય પણ લખાયું છે. એટલું નહીં ખુદ અમૃતાએ પણ તેમના પુસ્તક 'રસીદી ટીકીટ'માં તેમના અને સાહિરના સંબંધ વિશે ખુલ્લા મને લખ્યું છે. સાહિર અને અમૃતાનો સંબંધ વિકસ્યો પણ પ્રેમ એક મૌનની વચ્ચે રચાયેલો સંબંધ હતો. મૌનની વચ્ચે ઉગ્યો અને મૌનને કારણે આથમી પણ ગયો. કહે છે કે સાહિર વારંવાર અમૃતાને મળવા તેમના ઘરે જતા હતાં પણ ઓછાબોલા સાહિર ત્યાં મૌન બેસી રહેતા અને અમૃતા કેવળ તેમની હાજરીને માણતા રહેતા. તેમની અધુરી પિવાયેલી સિગારેટથી માંડી તેમ ની લખેલી અધુરી ગઝલ કે નઝ્મના કાગળ સુધ્ધા અમૃતા પોતાની પાસે સાચવી રાખતા હતા. અને તેમના ચાલી ગયા બાદ તેમની અડધી છોડેલી સિગારેટને હાથમાં લઈ તેઓ સાહિરના સ્પર્શને મહેસૂસ કરવાનો પ્રયત્ન કર્યા કરતા. સાહિર ત્યારબાદ અમૃતાને છોડી પોતાની કરિઅર બનાવવા માટે મુંબઈ ચાલી ગયા પણ અમૃતાથી સાહિર કે સાહિરથી અમૃતા દૂરીને કારણે પણ છૂટા નહોતાં પડ્યા. સાહિરને યાદ કરી જીવતા રહેતા અમૃતા એક દિવસ તેમને ફોન કરવા માટે નંબર ડાયલ કરવા જાય છે અને ત્યાં જ તેમની પેપરમાં છપાયેલા સમાચાર પર નજર પડે છે. 'શું સાહિરને તેમનો નવો પ્રેમ મળી ગયો છે ?' પેપરમાં આ વાક્ય વાંચતા જ અમૃતાનો હાથ રોકાઈ જાય છે. યુવાન અને એકલા સાહિરની મુંબઈમાં એક પાર્ટીમાં મુલાકાત થાય છે યુવાન ગાયિકા સુધા મલ્હોત્રા સાથે. સુધા મલ્હોત્રા સાથેનો તેમનો સંબંધ એક ઘડીએ લગ્ન સુધી પહોંચ્યો પણ કોઈક કારણોસર સુધા સાથે પણ તેમના લગ્ન શક્ય બન્યા. અને સાહિર આજીવન અધુરા પ્રેમની યાદો સાથે જીવતા રહ્યા. સાહિર સુધા મલ્હોત્રા સાથેના સંબંધમાં ક્યારેક લખે છે. 'ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દો નો.

હિન્દી સિનેમા જગતમાં સાહિર એક માત્ર એવા ગીતકાર હતા કે જે પહેલા ગીત ના બોલ લખતા અને પછી તેના પરથી ધૂન બનાવવામાં આવતી હતી. નહીં તો આપણે ત્યાં ફિલ્મોમાં વર્ષોથી એવી રસમ છે કે કોઈપણ ગીતની પહેલા ધૂન તૈયાર થાય અને ત્યારબાદ તેને શબ્દોમાં ઢાળવામાં આવે છે. સાહિરની ચાર જણ સાથેની મિત્રતા અનોખી હતી. ગુરૂદત્ત, એસ.ડી બર્મન, દેવ આનંદ અને બી.આર. ચોપરા. ચોપરા સાહેબે જ્યારે પોતાના પ્રોડ્ક્શન હાઉસ બી.આર. ફિલ્મસના નામથી ફિલ્મો બનાવવી શરૂ કરી ત્યારે તેમની ફિલ્મોના ગીતકાર સાહિર હોય તે એક વણલખ્યો નિયમ હતો. તેમણે લગભગ તેમની બધી જ ફિલ્મોમાં સાહિર પાસે જ ગીતો લખાવ્યા. પછી તે ફિલ્મ વક્ત હોય કે કભી કભી. એટલું જ નહીં ચોપરા સાહેબે ખાસ સાહિર માટે મુંબઈમાં એક ઘર બનાવડાવ્યું હતું અને કહ્યું કે આ હું મારા સાહિરનો અડ્ડૉ છે, તે જ્યારે પણ કવિતા કે ગીતો લખવા માટે શાંત વાતાવરણ ચાહતો હોય ત્યારે અહીં આવી ને રહેશે તો મને ગમશે.
અહીં એક કિસ્સો ખૂબ રસપ્રદ છે. સાહિરે પ્યાસાના ગીતો લખ્યા જે ખૂબ હીટ પણ થયા ત્યારે તેમણે એસ.ડી. બર્મનને કહ્યું હતું કે, હિન્દી ફિલ્મોમાં શબ્દો અને શાયરીનું મહત્વ સંગીત કરતા પણ વધારે છે.' પ્યાસા પછી તેમની મુલાકાત ઓ.પી. નૈયર સાથે ફિલ્મ સોને કી ચિડિયા માટે થઈ. અને ઓ.પી. નૈયરે તેમને ચોખ્ખું સંભળાવી દીધું કે તું અગર આટલા સિનિયર બર્મનદા જેવાને આમ કહી શકે છે તો આવતી કાલે મારે માટે પણ આવું જ કહેશે. મારે તારી સાથે કામ નથી કરવું.
લાસ્ટ કટ ;   સાહિર આખરે સાહિર હતા. કોઈ ના કહે તેથી અટકે તો તે સાહિર નહીં. આખરે સોને કે ચિડિયા માટે પણ સાહિરે ગીતો લખ્યા અને ઓ.પી. નૈયરે મ્યુઝિક પણ આપ્યું.









Comments (0)