૧૪મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ પેશાવરમાં જન્મેલા રણબીર રાજ કપૂરને આપણે રાજ કપૂરના નામથી બહેતર ઓળખીએ છીએ. રાજ કપૂરને હિન્દી સિનેમા જગત અને આપણે સૌ દર્શકોએ એક બીજૂ નામ પણ આપ્યુ અને તે છે ' શૉ મેન' બે નેશનલ એવોર્ડ અને નવ ફિલ્મફેર એવોર્ડના વિજેતા રાજ કપૂરે તેમની ફિલ્મી દુનિયાની સફર દરમિયાન (અને ત્યારબાદ પણ) હિન્દી સિનેમા જગતને, હિન્દી ફિલ્મોને એક નવુ મુકામ આપ્યુ, નવુ રૂપ આપ્યુ, નવી વ્યાખ્યા આપી એમ કહિએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. ૧૯૭૧માં રાજ કપૂરને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણની ઉપાધી પણ આપવામાં આવી અને ૧૯૮૭માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. એમની ફિલ્મો માત્ર ભારતમાં નહીં પણ યુરોપમાં પણ ખૂબ લોકપ્રિય હતી. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ક્લાર્ક ગાબ્લે કહેવાતા રાજ કપૂરની અંગત જિંદગી અને ફિલ્મી સફરની કેટલીક વાતો અહીંથી કરતા તેમના  જન્મ મહિનાના દિવસોમાં તેમને હેપ્પી જન્મતિથી વિશ કરવાનો આશય છે. 
પેશાવર (હાલ પાકિસ્તાન)ના કિસ્સા ખ્વાનીની નજીક ધક્કી મુનાવર શાહમાં રણબીર રાજ કપૂર એક હિન્દુ પંજાબી પરીવારમાં ૧૪મી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જનમ્યા. પિતા પૃથ્વીરાજ કપૂર અને માતા રામશરણી દેવી કપૂરને ત્યાં જન્મેલા છ સંતાનોમાં રાજ સૌથી મોટા દીકરા હતા. તેમના બે ભાઈ શશી કપૂર અને શમ્મી કપૂર પણ ફેમસ એક્ટર હતા જે આપણને સૌને ખબર છે. અને એક બહેન જેમનું નામ હતું ઉર્મિલા સિયાલ. તેમના બાકીના બે ભાઈઓની નાનપણમાં જ મૃત્યુ થઈ ગઈ હતી. સમય જતા પૃથ્વી રાજ કપૂર પેશાવર છોડી પંજાબ આવી ગયા. રાજ કપૂર દેહરાદૂનની કોલોનિયલ બ્રાઉન કેમ્બ્રીજ સ્કુલમાં ભણ્યા અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજિયટ સ્કુલમાં પણ ભણ્યા.

રાજ કપૂરે માત્ર અગિયાર વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી હતી, તેમની  પહેલી ફિલ્મ હતી ઈન્કલાબ. ૧૯૩૫માં ઈન્ક્લાબ આવી ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં તેમણે નાના મોટા રૉલ કર્યા અને પાંચ વર્ષની તેમની ટૂંકી ફિલ્મી સફર દરમિયાન ૧૯૪૦માં તેમણે સફેદ સાડીમાં તાનપુરા વગાડતી એક છોકરીને જોઈ. જે છોકરી હતી ક્રિષ્ના. ક્રિષ્નાને તેમણે પહેલીવાર જોયા અને તે  સમયે તેમણે તેને પોતાની જીવન સંગિની બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. ક્રિષ્ના અને રાજના ૧૯૪૦માં લગ્ન થઈ ગયા. સંબંધની દ્રષ્ટીએ જોવા જઈએ તો આમ ક્રિષ્ના રાજ કપૂરના સગપણમાં હતા. ક્રિષ્નાના પિતા પૃથ્વીરાજ કપૂરના અંકલ થતા હતા. પણ બંનેના પરીવારે રાજ અને ક્રિષ્નાના લગ્ન સબંધ માટે મંજૂરી આપી દીધી અને અરેન્જડ મેરેજ કરાવી લીધા. ક્રિષ્નાના બે ભાઈ હતા પ્રેમનાથ અને રાજેન્દ્રનાથ જે બંને પણ પાછળથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર બન્યા હતા અને ક્રિષ્નાના બહેન ઉમાના લગ્ન થયા હિન્દી ફિલ્મોના જાણીતા ખલનાયક પ્રેમ ચોપરા સાથે. રાજ અને ક્રિષ્ના મળ્યા તેમના લગ્ન થયા અને છ જ વર્ષમાં ક્રિષ્ના માટે ખરાબ સમયની શરૂઆત થઈ ગઈ. એ કઈ શરૂઆત હતી એ વાત કરીએ તે પહેલા રાજ અને ક્રિષ્નાના લગ્નની એક વાત ખૂબ રસપ્રદ છે. રાજ કપૂર અને ક્રિષ્નાના લગ્ન સમારંભમાં તે સમયના સુપર સ્ટાર અશોક કુમાર પણ આવ્યા હતા, અશોક કુમારનું નામ સાંભળી રાજની પત્ની ક્રીષ્ના ગાંડી જેવી થઈ ગઈ અને અશોક કુમારને માત્ર એક વખત જોવા માટે ક્રિષ્નાએ અનેક પ્રયત્નો કરવા માંડ્યા. ક્રિષ્નાની આ તાલાવેલી જોઈ રાજ કપૂરે તે જ દિવસે નક્કી કરી લીધુ કે તેઓ એક એક્ટર તરીકે હિન્દી સિનેમાના એક જાણીતા સુપર સ્ટાર બનીને દેખાડશે. તે હિન્દી સિનેમામાં સિક્કો જમાવીને જ રહેશે એવુ મનોમન તેમણે નક્કી કરી લીધુ.
રાજ કપૂરના ક્રિષ્ના સાથે લગ્ન થઈ ગયા, રાજ હજીય હિન્દી ફિલ્મોમાં નાના મોટા રૉલ કરી પોતાનું સ્થાન જમાવવા માટે મથી રહ્યા હતા, પિતા પૃથ્વીરાજ કપૂર જાણીતા એક્ટર હોવા છતાં એવું નહોતુ કે રાજને આસાનીથી કામ મળી જાય. આખરે ૧૨ વર્ષ સુધી લીડ રૉલ મેળવવાની મહેનત કર્યા બાદ તે સમયના જાણીતા ફિલ્મ મેકર કેદાર શર્માએ રાજ કપૂરની સિનેમા પ્રત્યેની લગન જોઈ, તેમની અંદરના કલાકારને ઓળખ્યો અને તેમણે રાજને ફિલ્મ નિલકમલમાં લીડ રૉલ ઓફર કર્યો. ૧૯૪૭માં આવેલી નિલકમલ, કેદાર શર્માએ આપેલી આ પહેલી ફિલ્મમાં રાજ કપૂરની સામે હિરોઈન તરીકે હતા એવરગ્રીન મધુબાલા. ૧૯૪૭માં નિલકમલમાં લીડ રૉલમાં કામ કર્યાના એક વર્ષ બાદ રાજ કપૂરે ૧૯૪૮માં પોતાના સ્ટુડિયોની સ્થાપ્ના કરી, આર.કે. સ્ટુડિયો. રાજ કપૂર તે સમયે હિન્દી સિનેમા જગતના સૌથી યુવાન ડાયરેક્ટર બનવા જઈ રહ્યા હતા, આર.કે. સ્ટુડિયોના બેનર હેઠળ તેમણે તેમના ડિરેક્ટોરિયલ ડેબ્યુની પહેલી ફિલ્મ બનાવી 'આગ' જેમાં હીરો તરીકે ખૂદ રાજ કામ કરવાના હતા અને તે સિવાય સ્ટાર કાસ્ટ હતી તેમના સાળા પ્રેમનાથ અને કામિનિ કૌશલ. આગ રિલિઝ થઈ હતી ૧૯૪૮માં પરંતુ તેનું પ્રોડ્ક્શન વર્ક ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યુ હતુ. રાજ કપૂર ૧૯૪૬માં તેમની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ આગની શરૂઆત કરી ચૂક્યા હતા. હવે રાજ તેમની પહેલી ફિલ્મના શૂટીંગ માટે કોઈ સ્ટુડિયો શોધી રહ્યા હતા. અને તે સમયે તેમને ખબર પડી કે તે સમયના અતિપ્રસિધ્ધ એક્ટ્રેસ જદ્દનબાઈ ફેમસ સ્ટુડિયોમાં ફિલ્મ રોમિયો એન્ડ જુલિયેટ બનાવી રહ્યા છે. રાજ કપૂર ફેમસ સ્ટુડિયો વિશે માહિતી મેળવવા જદ્દનબાઈના ઘર સુધી પહોંચી ગયા. જદ્દનબાઈતો તે સમયે ઘરે નહોતા આથી ઘરનો દરવાજો ખોલ્યો જદ્દનબાઈની છોકરી નરગીસે. નરગીસ કદાચ તે સમયે ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા અને, ઘરના દરવાજે કોઈક આવ્યુ છે તે જાણી તે એટલી ઉતાવળમાં દરવાજો ખોલવા દોડ્યા કે તેઓ ને પણ ભાન નહીં રહ્યું કે તેમના માથા પર ચણાનો લોટ લાગ્યો છે. નરગીસ તે લોટ સાફ કરવાનું ભૂલી ગયા.  રાજ કપૂર અને નરગીસની જદ્દનબાઈના ઘરના દરવાજે નજર મળી અને નરગીસજીનું રૂપ જોઈ રાજની આંખો સ્થિર થઈ ગઈ. માથે લાગેલા ચણાનો લોટ અને હાથ પણ ચણાના લોટ વાળો નરગીસજીએ આ વેશમાં જોઈને પણ રાજ એટલા ઈમપ્રેસ થઈ ગયા હતા કે તેમને નરગીસની સાદગી, રીત-ભાત અને ભોળપણ ખૂબ ગમી ગયા. તેમની રિઅલ જિંદગીનો સીન રાજ કપૂરના દિલમાં રીતે જડાઈ ગયો હતો કે સત્તાવીસ વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ તેમની એક ફિલ્મમાં તેમણે તે સીન રીલ લાઈફમાં પણ શૂટ કર્યો. અને તે ફિલ્મ હતી બોબી. બોબીમાં જ્યારે રિષી કપૂર પહેલીવાર ડિમ્પલને તેની ઘરે મળે છે ત્યારે ડિમ્પલનો હાથ લોટવાળો હોય છે અને માથાના વાળ સરખા કરવા જતા ડિમ્પલનું માથું પણ લોટ વાળુ થઈ જાય છે. તે સમયે રાજ નરગીસને રીતે જોઈ એટલા આકર્ષિત થઈ ગયા કે તેમણે તરત ફિલ્મ આગના રાઈટરને નરગીસને તે કહાનીમાં સામેલ કરવા કહી દીધુ. અને આ રીતે રાજ કપૂરની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ આગને તેની હિરોઈન મળી ગઈ અને કદાચ રાજ કપૂરને પણ.
રાજ કપૂર અને નરગીસની ત્યારબાદ ૧૯૪૯માં દિલીપ કુમાર સાથે બીજી એક ફિલ્મ આવી અંદાઝ. અંદાઝ રાજ કપૂર માટે એક એક્ટર તરીકે મોટો બ્રેક હતો, અંદાઝ જબરદસ્ત સફળ રહી અને રાજ કપૂર રાતો રાત એક સુપર સ્ટારની હરોળમાં આવી ગયા. રાજ કપૂર પરણેલા હતા પણ નરગીસ સાથેની તેમની ઓન સ્ક્રીન જોડીને દર્શકો જબરદસ્ત પસંદ કરવા માંડ્યા એટલું નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટા મોટા જાણીતા દરેક સ્ટાર અને ડાયરેક્ટર કહેવા માંડ્યા કે, 'રાજ ઔર નરગીસકી જોડી પડદે પર બહોત અચ્છી લગતી હૈ. ઔર રાજ કો નરગીસ કો લે કે ઔર ભી ફિલ્મે બનાની ચાહિયે.'
ફિલ્મ આગ જવાબદાર હતી, નરગીસ જવાબદાર હતા કે ખૂદ રાજ કપૂર કે  બંનેની એક-બીજા પ્રત્યેની લાગણીઓ તેમને નજીક લઈ આવી હતી ? કારણો એક કરતા વધુ છે પણ હા, એ વાત સાચી કે આગ ફિલ્મમાં નરગીસજીની એન્ટ્રી થઈ અને ક્રિષ્ના અને રાજના ઘરસંસારમાં પણ આગ લાગવાની શરૂઆત થઈ.

એવા કયા કારણો હતા જેને કારણે રોજ રાજ શરાબ પીને ઘરે આવતા અને ઘરના બાથ ટબમાં સૂઈ રહેતા હતા ? પાર્ટીમાં કોણે ક્રિષ્ના કપૂરની માફી માંગી હતીઆર.કે. સ્ટુડિયોનો લોગો કઈ રીતે નક્કી થયો તેની પાછળની શું કહાની છે ? શા માટે રાજ એક ફિલ્મના સર્જન સમયે તેના ભાઈને કહેતા રહેતા હતા કે, 'કુછ તો કમી હૈ !' ઘણી રસપ્રદ વાતો છે હિન્દી સિનેમા જગતના 'શૉ મેનરાજ કપૂરના જીવનની. આવતા સપ્તાહે આગળ વધારીએ.
આખરી સલામ રાજ કપૂરે સંગીતકાર બેલડી શંકર-જયકિશન સાથે લગભગ તેમની વીસ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ, જયકિશનજીની મૃત્યુ પછી  તેમણે કોઈ બીજા સંગીતકાર સાથે કામ કર્યુ હતુ.