૧૯૬૫ના વર્ષમાં બેસ્ટ ડાયરેક્ટર તરીકે યશ ચોપરાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો તે સુપર હીટ ફિલ્મ એટલે વક્ત, સાંઈઠના દાયકનાં સમય દરમિયાન મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવાનો નવો નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. અને યશ ચોપરાએ તેમની ફિલ્મમાં લગભગ બધાં એવા કલાકરોની પસંદગી કરી હતી જેમની તે સમયે એક મોટા સ્ટાર તરીકે ગણતરી થતી હતી. બલરાજ સહાની, સુનિલ દત્ત, રાજ કુમાર, શશી કપૂર, રહેમાન અને હિરોઈન તરીકે સાધના અને શર્મિલા ટાગોર. તમામ કલાકારને કારણે સ્વાભાવિક હતું કે ફિલ્મ મેગા બજેટ હોવાની. ફિલ્મની કહાની ભલે જૂના અને જાણીતા હિન્દી સિનેમાના કનસેપ્ટ પર બની હોય, ભલે ક્રિટીક્સ દ્વારા તે સમયે એમ કહેવાયું હોય કે એક ડાયરેક્ટર તરીકે ફિલ્મમાં ઘણી બધી ભૂલો થઈ હતી છતાં વક્ત એટલે ફિલ્મ જેણે હિન્દી સિનેમા જગતના ખૂબ જાણીતા એવા ડાયરેક્ટર યશ ચોપરાને તેમની પહેલી રંગીન ફિલ્મ હોવા છતાં બેસ્ટ ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો હતો. અને વક્તને પ્રોડ્યુસ કરી હતી તેમના ભાઈ બી.આર ચોપરાએ. બોક્સ ઓફિસ અર્નિંગના તે સમયના બધા રેકોર્ડ વક્તએ તોડી નાખ્યા હતા, અને ફિલ્મ સુપર ડુપર હીટની યાદીમાં ટોચ પર આવી ગઈ.
વક્ત ફિલ્મ દ્વારા યશ ચોપરાએ ૧૯૪૩ની અશોક કુમાર અને મુમતાઝ શાંતિની ફિલ્મ કિસ્મતનો કનસેપ્ટ નવી રીતે પિરસ્યો હતો છતાં તે સમયે દર્શકોએ ફિલ્મને પૂરા મનથી વધાવી લીધી હતી. ત્યારબાદ ૧૯૬૯માં વક્તની તેલુગુમાં રિમેક બની જેનું નામ હતું, 'ભાલે અબાઈલુ.' ફિલ્મના બે ગીત આજે પણ એટલાં જ મશહૂર છે અને સંભળાય છે જેમાંનું એક આશા ભોસલે દ્વારા ગવાયેલું, 'આગે ભી જાને તુ...' અને બલરાજ સહાની પર શૂટ થયેલું અને મન્ના ડે દ્વારા ગવાયેલું બીજૂં ગીત, 'એય મેરી ઝોહરાજબી...'
યશજી જ્યારે તેમની આ પહેલી કલર ફિલ્મ શૂટ કરી રહ્યા હતા અને તેમણે સાધાના અને શર્મિલા ટાગોરને તેમાં હિરોઈન તરીકે લેવાનું નક્કી કર્યું ત્યારે તે સમયના ટોપ મોસ્ટ ડિઝાઈનર ભાનુને ફ્લ્મના ડ્રેસ ડિઝાઈનર તરીકે સાઈન કર્યા. તે કાયમ ભાનુને કહેતા કે મારી પહેલી કલર ફિલ્મ છે માટે મારા ઓડિયન્સને ફિલ્મ હંમેશા બ્યુટીફુલ દેખાય અને તેમને જોવી ગમે તેવી બનાવવી છે, અને તેથી જ મેં સાધના અને શર્મિલાને હિરોઈન તરીકે લીધા છે. આ જ કારણથી તે ફિલ્મના એક એક ડ્રેસ માટે પણ ભાનુ અને સાધના સાથે જાતે ખરીદી કરવા જતા હતા. આ સમયને યાદ કરતા સાધનાજી ઘણીવાર કહે છે, 'યશ ચોપરા દરેક વસ્તુમાં એક નવા ટ્રેન્ડ સેટર તરીકે મશહૂર હતા. તે સમય હતો જ્યારે હું મારા પોતાના પર્સનલ કોસ્ચ્યુમ ડિઝાયનર રાખતી હતી. વક્તના શૂટીંગ દરમિયાન મેં યશજીને કહ્યું કે આપણે ફિલ્મ દ્વારા નવો ટ્રેન્ડ શરૂ કરીએ તો કેવું ? હું સલવાર કૂર્તાની જગ્યાએ ફિલ્મમાં ચૂડીદાર અને કૂર્તા પહેરૂં, ત્યારે યશજીએ તરત કહી દીધું હતું કે ના ના  મુસ્લિમ કન્સેપ્ટ જેવું લાગશે. એમણે તરત  ના કહી દીધી. અને એક દિવસ મારી ડ્રેસ ડિઝાઈનરે મારે માટે વ્હાઈટ ચૂડીદાર અને સ્લીવલેસ કૂર્તો તૈયાર કર્યો જેના પર ગોલ્ડન કલરની એમ્બ્રોઈડરી કરેલી હતી. હું તે પહેરી શૂટિંગ પર પહોંચી ગઈ. તેઓ મને જોઈને હસ્યા અને કહ્યું, 'ધેટ્સ લૂક સ્ટનિંગ. નાવ ઓન્લી ચૂડિદાર્સ ઈન માય ફિલ્મસ.' અને રીતે વક્તના રિલિઝ પછી ચૂડિદારનો ટ્રેન્ડ શરૂ થયો.'
યશ ચોપરા પાસે જ્યારે વક્તનો કન્સેપ્ટ આવ્યો ત્યારે મૂળ તેમની ઈચ્છા હતી આ ફિલ્મ કપૂર ફેમિલીને લઈને બનાવવાની. જે રોલ ફિલ્મમાં બલરાજ સહાનીએ કર્યો છે તે યશ ચોપરા પહેલા પૃથ્વીરાજ કપૂરને લઈને બનાવવા માંગતા હતા. તેમની ઈચ્છા હતી કે પૃથ્વીરાજ કપૂર અને તેમના ત્રણ દિકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરની સાથે આ ફિલ્મ બનાવવામાં આવે પણ કેટલાંક સંજોગોવસાત તેમ થઈ ન શક્યું અને ત્યારબાદ તેમાં રાજ કુમાર, સુનીલ દત્ત અને બલરાજની એન્ટ્રી થઈ.
વક્તની સ્ટોરી લખી હતી અખ્તર મિર્ઝાએ અને ડાયલોગ રાઈટિંગ હતું અખ્તર ઉલ ઈમાનનું, જ્યારે ફિલ્મ તેના પહેલા ચરણમાં હતી ત્યારે પૃથ્વીરાજ કપૂર અને તેના ત્રણ દીકરાઓને લઈને બનાવવાનું નક્કી થયું હોય અખ્તર ઉલ ઈમાનના ડાયલોગ તેની મૂળ અદામાં  યશજીએ સ્વીકારી લીધા હતા પણ પછી ફિલ્મની સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ અને સૌથી મોટા દીકરા તરીકે રાજ કુમારની એન્ટ્રી થઈ ત્યારે રાજ કુમાર તેમની ડાયલોગ ડિલીવરીની આગવી સ્ટાઈલ માટે જાણીતા હતા અને તેથી યશ ચોપરાએ અખ્તર ઉલ ઈમાનને સેટ પર સાથે બેસાડવાનું નક્કી કર્યું. યશજી પ્લોટ વાંચતા જાય, રાજ કુમારને સીન પ્રમાણે ઈમેજીન કરે અને અખ્તર ઉલ ઈમાનને કહે, 'રહેમાનને સામને મેર હિરો ખડા હૈ ઔર વો રાજ કુમાર હૈ તો ડાયલોગ ભી ઉસ હિસાબ સે દિજીયે.' અને એક સીનમાં હૉટેલના સ્વીમિંગ પુલ પાસે જ્યારે રાજ કુમાર રહેમાન સાહેબ સામે ટેબલ પડેલો વાઈન ગ્લાસ તોડે છે ત્યારે અખ્તર ઉલ ઈમાન કંઈ બોલે કે લખે તે પહેલાં  રાજ બોલી પડે છે, 'જાની જીનકે ઘર શીશે કે હોતે હૈ વો દુસરો પે પત્થર નહીં ફેંકા કરતે.અને યશજીથી ચાલૂ સીનમાં તાડીઓ વગાડાય જાય છે. 'ક્યા બાત હૈ, ક્યા બાત હૈ...રાજ હમ યહી ડાયલોગ ફિલ્મ મેં રખ રહે હૈ. ઈસે બદલને કી જરૂરત નહીં.' અને આ ડાયરેક્ટરના આ એક રિએક્શનથી અખ્તર ઉલ ઈમાનને આખીય ફિલ્મનો માહોલ ખ્યાલમાં આવી જાય છે. અને ત્યારબાદ અખ્તર ઉલ ઈમાનની કલમે કેટલાંક યાદગાર ડાયલોગ લખાયા જેમાંનો એક 'જાની, યે બચ્ચો કે ખેલને કે ચીઝ નહીં હૈ, લગતા હૈ તો ખૂન નિકલ આતા હૈ.
રાજ કુમાર આમ પણ તેમની સ્ટાઈલ અને ઓન સ્ક્રીન અકડ માટે જાણીતા છે. કહે છે કે વક્તનો એક સીન જ્યારે યશ ચોપરા તેમને અને સુનીલ દત્તને સમજાવી રહ્યા હતા ત્યારે તે સીન યશ ચોપરાએ એ રીતે ગોઠવ્યો હતો કે તેમાં સુનીલ દત્ત રાજ કુમાર સામે પીઠ કરીને ઊભા છે અને રાજ તેમને કંઈ કહી રહ્યા છે. હવે જ્યારે રાજ કુમાર કંઈક કહેતા હોય અને તેની સાથેનો કલાકાર તેમની તરફ પીઠ કરીને ઊભો હોય તે રાજ કુમારને જામતુ નહોતું. તેમને તે સમયે તો યશ ચોપરાએ કંઈ પણ કહ્યું નહીં પણ જેવો સીન શરૂ થયો અને રાજ કુમારની વાતનો જવાબ આપવા સુનીલ દત્તે પોતાનું મોઢું રાજ તરફ ફેરવવાનું હતું ત્યારે રાજ કુમારે પણ પોતાનું મોઢું ફેરવી લીધું. યશજી ને  ઓન સ્ક્રીન ઈમ્પ્રોવાઈઝેશન ખૂબ ગમ્યું અને તેમણે કહ્યું કે આપણે સીન રીતે રહેવા દઈશું તેમાં કોઈ ફેરફારની જરૂર નથી.' આખરે ક્રીટીક્સની કેટલીક ન ગમતી વાતો છતાં પણ ફિલ્મ થિયેટરમાં ખૂબ ચાલી નીકળી અને દર્શકોએ બોક્સ ઓફિસને ટંકશાળમાં પલટાવી નાખી.
ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ફિલ્મનું હીટ ગીત 'ઐ મેરી ઝોહરાજબી...' અફધાનના ગાયક અને કમ્પોઝર અબ્દુલ ગફાર દ્વારા બનવવામાં આવ્યું હતું. ફિલ્મમાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર તરીકે રાજ કુમારને, બેસ્ટ સ્ટોરી તરીકે અખ્તર મિરઝા, બેસ્ટ ડાયલોગનો એવોર્ડ અખ્તર ઉલ ઈમાનબેસ્ટ સિનેમેટોગ્રાફરનો ધરમ ચોપરા અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ યશ ચોપરાને મળ્યો હતો. જ્યારે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટ્રેસ તરીકે સાધનાને નોમિનેશન મળ્યું હતું.      







Comments (0)